
સર્વોચ્ચ અદાલતે મૃત્યુદંડ રદ કર્યો અને ન્યાયી સુનાવણીના અધિકારને મજબૂત કર્યો
#GS-2 #ન્યાયતંત્ર #બંધારણ #સામાજિક ન્યાય #ન્યાયી સુનાવણી #કાનૂની સહાય
શા માટે ચર્ચામાં છે?
- સર્વોચ્ચ અદાલતે **અબ્દુલ હમીદ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય** કેસમાં વર્ષ **1996ના સમલેટી બસ બોમ્બ બ્લાસ્ટ કેસ** અંગે મહત્વનો ચૂકાદો આપ્યો છે.
- અદાલતે **ડો. અબ્દુલ હમીદ**ની ફાંસીની સજા રદ કરી છે, કારણ કે ટ્રાયલ દરમિયાન તેમને યોગ્ય વકીલ કે કાનૂની મદદ મળી ન હતી.
- કોર્ટે સ્પષ્ટ કર્યું કે વકીલની સુવિધા ન આપવી એ મૂળભૂત અધિકારનો ભંગ છે અને તેનાથી આખી સુનાવણી ગેરકાયદેસર બની જાય છે.
- સુપ્રીમ કોર્ટે આ કેસની નવેસરથી સુનાવણી કરવા આદેશ આપ્યો છે અને તેને **1 વર્ષ**ની અંદર પૂરી કરવા જણાવ્યું છે.
ન્યાયી સુનાવણી અંગે સર્વોચ્ચ અદાલતનું અવલોકન
- સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દરેક નાગરિકને ન્યાયી અને સમતોલ સુનાવણી મળવી જ જોઈએ, તેમાં કોઈ બાંધછોડ થઈ શકે નહીં.
- ગુનાહિત ન્યાય વ્યવસ્થાનો હેતુ ફક્ત સજા કરાવવાનો નથી, પરંતુ પ્રક્રિયા કાયદાકીય અને ન્યાયી હોવી જરૂરી છે.
- કોર્ટે યાદ અપાવ્યું કે સહ-આરોપીની કબૂલાત એ મુખ્ય પુરાવો નથી, પણ તે ફક્ત અન્ય પુરાવાને ટેકો આપવા માટે વપરાઈ શકે.
- અદાલતે નોંધ્યું કે સાચો ન્યાય ઉતાવળે સજા આપવામાં નથી, પરંતુ કાયદાકીય મર્યાદાઓ અને સંયમ જાળવવામાં રહેલો છે.
- કોર્ટે જૂનો સિદ્ધાંત પુનરાવર્તિત કર્યો કે સો દોષિત છૂટી જાય તો વાંધો નહીં, પણ એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ.
- આરોપીને સીધો મુક્ત કરવાના બદલે કોર્ટે તેને યોગ્ય વકીલ આપીને ફરીથી સુનાવણી ચલાવવાનો હુકમ કર્યો છે.
- આતંકવાદ જેવા ગંભીર ગુનાઓમાં પણ સરકારે બંધારણીય નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે.
- ટ્રાયલ કોર્ટના જજની એ જવાબદારી છે કે સાક્ષીઓની તપાસ કરતા પહેલા આરોપી પાસે લાયક વકીલ છે કે નહીં તે ચકાસે.
ભારતમાં મફત કાનૂની સહાય અને ન્યાયી સુનાવણી અંગેની જોગવાઈઓ
- **અનુચ્છેદ 21** નાગરિકોને ન્યાયી સુનાવણી અને મફત કાનૂની મદદ મેળવવાનો મૂળભૂત અધિકાર આપે છે.
- **અનુચ્છેદ 22(1)** મુજબ ધરપકડ કરાયેલા કોઈપણ વ્યક્તિને પોતાની પસંદગીના વકીલ સાથે સલાહ લેવાનો અને કેસ લડવાનો હક છે.
- વર્ષ **1976ના 42મા બંધારણીય સુધારા** દ્વારા ઉમેરાયેલ **અનુચ્છેદ 39A** સરકારને ગરીબો માટે મફત કાનૂની સહાય આપવાની સૂચના આપે છે.
- **ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023** ની **કલમ 341** મુજબ જો આરોપી પાસે પૈસા ન હોય તો કોર્ટે સામેથી વકીલ આપવો પડે છે.
- આ સરકારી વકીલનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે જેથી ગરીબ આરોપીને પણ પૂરતો ન્યાય મળી રહે.
- **લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ એક્ટ, 1987** હેઠળ **NALSA**, **SLSA** અને **DLSA** જેવી સંસ્થાઓ બનાવીને ગરીબોને કાનૂની સેવાઓ અપાય છે.
- આ સેવાઓ **અનુસૂચિત જાતિ/જનજાતિ**, **મહિલાઓ અને બાળકો**, પીડિતો અને વાર્ષિક **રૂ. 1 થી 3 લાખ** સુધીની આવક ધરાવતા લોકોને મળે છે.
- વર્ષ **2022-23 થી 2024-25** વચ્ચે આ સંસ્થાઓ દ્વારા **44.22 લાખથી વધુ લોકોને** મફત કાનૂની સલાહ અને મદદ પૂરી પાડવામાં આવી.
- આ કાયદા હેઠળ **લોક અદાલત**ને કાનૂની માન્યતા મળી છે, જે જૂના કેસોનો ઝડપી અને સમાધાનકારી નિકાલ કરે છે.
- વર્ષ **2022-23 થી 2024-25** દરમિયાન લોક અદાલતોએ **23.5 કરોડથી વધુ કેસો** પૂરા કરીને કોર્ટનું ભારણ ઘટાડ્યું છે.
- **હુસૈનારા ખાતૂન કેસ (1979)** માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મફત કાનૂની સેવા એ **અનુચ્છેદ 21** નો અવિભાજ્ય ભાગ છે.
- **ખત્રી વિરુદ્ધ બિહાર રાજ્ય (1981)** કેસમાં કોર્ટે ઠેરવ્યું કે આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાય ત્યારથી જ મફત વકીલ મળવો જોઈએ.
સરળ કાનૂની સહાય માટેની મુખ્ય પહેલો અને સંસ્થાઓ
- **NALSA** દ્વારા **LADCS** સિસ્ટમ શરૂ કરાઈ છે, જે ફોજદારી કેસોમાં જરૂરિયાતમંદોને સરકારી ખર્ચે વકીલ આપે છે.
- કેન્દ્રીય ન્યાય મંત્રાલયની **DISHA** યોજના (**2021-26**) હેઠળ **ટેલી-લો** અને **ન્યાય બંધુ** દ્વારા **2.10 કરોડથી વધુ લોકોને** મદદ મળી છે.
- દેશમાં જૂન **2025** સુધીમાં **865 ફાસ્ટ-ટ્રેક કોર્ટો** કાર્યરત છે, જે ગંભીર ગુનાઓનો ઝડપી નિકાલ કરે છે.
- રેપ અને પોક્સોના કેસો માટે **725 ફાસ્ટ ટ્રૅક સ્પેશિયલ કોર્ટો** બનાવવામાં આવી છે, જેમાંથી **392 પોક્સો કોર્ટ** છે.
- ગામડાના લોકોને ઘરઆંગણે સસ્તો ન્યાય આપવા **ગ્રામ ન્યાયાલય કાયદો, 2008** હેઠળ **488 ગ્રામ ન્યાયાલયો** શરૂ કરાયા છે.
- **મિશન શક્તિ** હેઠળ **નારી અદાલતો** ચલાવવામાં આવે છે, જે ગ્રામ પંચાયત સ્તરે મહિલાઓના કૌટુંબિક પ્રશ્નો ઉકેલે છે.
- અનુસૂચિત જાતિ અને જનજાતિ પરના અત્યાચાર અટકાવવા માટે **SC/ST એક્ટ, 1989** હેઠળ ખાસ અદાલતો સ્થાપવામાં આવી છે.
ભારતમાં મૃત્યુદંડ (ફાંસીની સજા)
- **મૃત્યુદંડ** એટલે કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી આરોપીને આપવામાં આવતી ફાંસીની સજા.
- આ સજા બદલાના ન્યાયના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં ગંભીર ગુના માટે કડક સજાની જોગવાઈ છે.
- પ્રાચીન **મનુસ્મૃતિ** માં પણ ફાંસીનો ઉલ્લેખ હતો, જ્યારે **ઈન્ડિયન પીનલ કોડ (1860)** દ્વારા તેને આધુનિક કાયદામાં ઉમેરાઈ.
- **ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023** માં મર્ડર, આતંકવાદ, મોબ લિંચિંગ અને સગીર પર દુષ્કર્મ જેવા **14 ગુનાઓ** માટે ફાંસીની સજા છે.
- કાયદા મુજબ **સગીરો**, **સગર્ભા મહિલાઓ** અને **માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ** ને ફાંસી આપી શકાતી નથી.
- સેસન્સ કોર્ટે આપેલી ફાંસીની સજા **હાઇકોર્ટ** મંજૂર કરે પછી જ અમલમાં આવે છે, અને ત્યારબાદ **સુપ્રીમ કોર્ટ** માં અપીલ થઈ શકે છે.
- સજા પામેલ આરોપી **અનુચ્છેદ 72** હેઠળ **રાષ્ટ્રપતિ** ને અથવા **અનુચ્છેદ 161** હેઠળ **રાજ્યપાલ** ને દયાની અરજી કરી શકે છે.
- દયાની અરજી ફગવાયા પછી પણ **રૂપા અશોક હુરા (2002)** કેસ મુજબ આરોપી છેલ્લી ઉપાય તરીકે **ક્યુરેટિવ પિટિશન** કરી શકે છે.
નિષ્કર્ષ
- સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો સાબિત કરે છે કે યોગ્ય વકીલ અને ન્યાયી સુનાવણી વગર કાયદાનું શાસન શક્ય નથી.
- **અનુચ્છેદ 21**, **22** અને **39A** હેઠળના અધિકારોનું પાલન કરવાથી દેશની ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ ટકી રહે છે.