
સુપ્રીમ કોર્ટે ન્યાયિક સેવાઓ માટે ત્રણ વર્ષના વકીલાત અનુભવના નિયમમાં છૂટછાટ આપી
#GS-2 #ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ #ન્યાયતંત્ર #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય
મુખ્ય મુદ્દા
- મે 2025 માં સુપ્રીમ કોર્ટે પ્રારંભિક સ્તરની ન્યાયિક સેવાઓ માટે 3 વર્ષના અનુભવ ના નિયમને ફરી લાગુ કર્યો હતો, જેણે 2002 ના ઓલ ઈન્ડિયા જજિસ એસોસિએશન કેસ ના નિર્ણયને બદલી નાખ્યો હતો.
- ઉમેદવારોને રાહત આપવા માટે કોર્ટે 20 મે 2025 થી 31 માર્ચ 2027 સુધીનો સમયગાળો નક્કી કર્યો છે, જેમાં કાયદાના નવા સ્નાતકો વકીલાત વગર પણ પરીક્ષા આપી શકશે.
- પસંદ થયેલા ઉમેદવારોને 2 વર્ષ તાલીમ અપાશે, જેમાં 1 વર્ષ સ્ટેટ જ્યુડિશિયલ એકેડમીમાં અને 1 વર્ષ કોર્ટ ક્લાર્કશિપ તરીકે કામ કરવાનું રહેશે.
- 1 એપ્રિલ 2027 થી સિવિલ જજની પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો ફરજિયાત બનશે.
- રાજ્ય સરકારો અને હાઈકોર્ટે 3 મહિના માં ન્યાયિક સેવાના નિયમો બદલવાના રહેશે અને આ સિસ્ટમ 5 વર્ષ સુધી અમલમાં રહેશે.
શા માટે ચર્ચામાં છે?
- સુપ્રીમ કોર્ટે તેના મે 2025 ના ચુકાદામાં ફેરફાર કર્યો છે, જેમાં નીચલી અદાલતોમાં ન્યાયાધીશ બનવા માટે ત્રણ વર્ષની વકીલાત ફરજિયાત કરવામાં આવી હતી. કાયદાના નવા સ્નાતકોને મુશ્કેલી ન પડે તે માટે કોર્ટે તાલીમ આધારિત નવું માળખું જાહેર કર્યું છે.
ન્યાયિક ભરતી માટેના મુખ્ય ફેરફારો અને માળખું
- સુપ્રીમ કોર્ટે મે 2025 માં પ્રારંભિક સ્તરના ન્યાયિક અધિકારીઓ માટે ત્રણ વર્ષના વકીલાતના અનુભવનો નિયમ ફરી શરૂ કર્યો હતો.
- આ ચુકાદાએ 2002 ના ઓલ ઈન્ડિયા જજિસ એસોસિએશન કેસ ના નિર્ણયને રદ કર્યો હતો, જેમાં વકીલાતના અનુભવ વગર પણ નવી કાયદા સ્નાતકોને પરીક્ષા આપવાની છૂટ હતી.
- અચાનક નિયમ બદલાવાથી જૂની સિસ્ટમ પ્રમાણે તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે તે વાત કોર્ટે સ્વીકારી છે.
- 20 મે 2025 થી 31 માર્ચ 2027 સુધીના સમયગાળા દરમિયાન નવા સ્નાતકો અનુભવ વગર પરીક્ષા આપી શકશે અને તેમને આપોઆપ 1 વર્ષનો અનુભવ ગણી લેવામાં આવશે.
- પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતમાં ટ્રેઈની જ્યુડિશિયલ ઓફિસર તરીકે નીમવામાં આવશે અને તાલીમ દરમિયાન JMFC નો અડધો પગાર મળશે.
- સ્ટેટ જ્યુડિશિયલ એકેડમીમાં 1 વર્ષની સંસ્થાકીય તાલીમ પૂરી કરવાથી ઉમેદવારને 1 વર્ષના વકીલાતનો અનુભવ ગણવામાં આવશે.
- આ ઉપરાંત ઉમેદવારે 1 વર્ષની ક્લાર્કશિપ કરવી પડશે, જેમાં છ મહિના ડિસ્ટ્રિક્ટ જજ અને છ મહિના હાઈકોર્ટ જજ સાથે કામ કરવાનું રહેશે, જે 1 વર્ષના અનુભવ બરાબર ગણાશે.
- આ 2 વર્ષનો તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી જ ઉમેદવારને પૂરો પગાર, ન્યાયાધીશનો દરજ્જો અને સરકારી લાભો મળશે.
- 1 એપ્રિલ 2027 પછી સિવિલ જજની પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો ફરજિયાત બનશે.
- એપ્રિલ 2027 પછી પસંદ થનાર ઉમેદવારો પણ 2 વર્ષની તાલીમ પૂરી કરીને બાકીનો અનુભવ મેળવી શકશે.
- બધી હાઈકોર્ટ અને રાજ્ય સરકારોએ 3 મહિના માં પોતાના નિયમો બદલવાના રહેશે અને આ સિસ્ટમ 5 વર્ષ સુધી ચાલશે.
- કોર્ટે સ્પષ્ટ કર્યું કે સિવિલ જજે પહેલા જ દિવસથી નાગરિકોના મૂળભૂત અધિકારો અને મિલકતના મહત્વના નિર્ણયો લેવાના હોય છે, તેથી તેમને અદાલતી કામગીરીનું જ્ઞાન હોવું જરૂરી છે.
ગૌણ ન્યાયતંત્ર સંબંધી બંધારણીય જોગવાઈઓ
- અનુચ્છેદ 234 મુજબ જિલ્લા ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયિક અધિકારીઓની નિમણૂક રાજ્યપાલ દ્વારા જીપીએસસી અને હાઈકોર્ટ ની સલાહથી કરવામાં આવે છે.
- અનુચ્છેદ 235 હેઠળ રાજ્યની નીચલી અદાલતો પર તમામ વહીવટી અને શિસ્તવિષયક નિયંત્રણ રાખવાની સત્તા હાઈકોર્ટ ને આપવામાં આવી છે.
- અનુચ્છેદ 233 અનુસાર જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અને બઢતી રાજ્યપાલ દ્વારા હાઈકોર્ટ ની સલાહ લઈને કરવામાં આવે છે.
- વકીલોમાંથી સીધા જિલ્લા ન્યાયાધીશ બનવા માટે અનુચ્છેદ 233 હેઠળ ઓછામાં ઓછો 7 વર્ષનો વકીલાતનો અનુભવ અને હાઈકોર્ટ ની ભલામણ હોવી જરૂરી છે.