તરતા સોલર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના મંજૂર

તરતા સોલર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના મંજૂર

#GS-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #સરકારી નીતિઓ #GS-3 #ઊર્જા #પર્યાવરણ #સતત વિકાસ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #અક્ષય ઉર્જા

શા માટે ચર્ચામાં છે?

  • કેન્દ્રીય કેબિનેટે દેશમાં અક્ષય ઉર્જાનું ઉત્પાદન વધારવા અને ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM-SSY) ને મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM-SSY) ના મુખ્ય તથ્યો

  • PM-SSY એ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેનો મુખ્ય હેતુ પાણી પર તરતા ફ્લોટિંગ સોલર ફોટોવોલ્ટેઇક (FSPV) અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (ESS) ને પ્રોત્સાહન આપવાનો છે.
  • આ સિસ્ટમમાં જમીનને બદલે જળાશયો પર તરતા પ્લેટફોર્મ મૂકીને સોલર પેનલ લગાવવામાં આવે છે, જેથી કિંમતી જમીનનો બગાડ થતો નથી.
  • સરકારે નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 વચ્ચે 5,000 MW ની ક્ષમતા ઊભી કરવા માટે રૂ. 5,070 કરોડ નું બજેટ ફાળવ્યું છે.
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી (NISE) ના અહેવાલ મુજબ ભારતમાં પાણી પર સોલર પેનલ મૂકીને 102.18 GWp વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, પણ હાલ આપણે માત્ર 700 MW જેટલી ક્ષમતા જ વાપરી રહ્યા છીએ.
  • વીજળીના પુરવઠામાં સતત સ્થિરતા જળવાઈ રહે તે માટે દરેક પ્રોજેક્ટમાં ઓછામાં ઓછું 2 કલાક નું સ્ટોરેજ રાખવું ફરજિયાત છે, જે સમગ્ર યોજનામાં કુલ 10,000 MWh થશે.
  • જ્યારે ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ થઈ જશે, ત્યારે સરકાર ડેવલપરને પ્રતિ મેગાવોટ રૂ. 1 કરોડ ની કેન્દ્રીય નાણાકીય સહાય (CFA) આપશે.
  • પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા થતા પાણીના સર્વે, ઊંડાઈ માપવા અને પર્યાવરણીય અભ્યાસ માટે સરકાર પ્રોજેક્ટ દીઠ રૂ. 50 લાખ સુધીની વધારાની મદદ આપશે.
  • આ યોજનાથી ભારતની ફ્લોટિંગ સોલર ક્ષમતા હાલના 700 MW થી વધીને 5,700 MW પહોંચી જશે.
  • પર્યાવરણની દ્રષ્ટિએ આ યોજનાથી દર વર્ષે આશરે 10 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે.
  • આ કામગીરીથી ઉર્જા ક્ષેત્રે લગભગ 16,000 થી 17,000 લોકોને કાયમી રોજગારી મળશે.
  • આ યોજના હેઠળ તરતા ફ્લોટ્સ, સોલર સેલ અને બેટરી સ્ટોરેજ ભારતમાં જ બનાવવામાં આવશે, જેથી આત્મનિર્ભર ભારત ને બળ મળશે.
  • 2 કલાકના બેટરી એનર્જી સ્ટોરેજ (BESS) થી જ્યારે વીજળીની માંગ સૌથી વધુ હશે ત્યારે પણ ગ્રીડમાં કોઈ તકલીફ વિના વીજળી આપી શકાશે.

ફ્લોટિંગ સોલર ફોટોવોલ્ટેઇક (FSPV)

  • ફ્લોટિંગ સોલર (FSPV) એટલે જમીનના બદલે ડેમ, તળાવ, સરોવર અને ઔદ્યોગિક જળાશયોના પાણી પર સોલર પેનલ ગોઠવવાની તકનીક.
  • જે વિસ્તારોમાં સોલર પ્લાન્ટ માટે જમીન મળવી મુશ્કેલ હોય, ત્યાં આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
  • પાણી પર પ્લાન્ટ બનતા હોવાથી ખેતી અને રહેણાંક માટે વપરાતી જમીન સાચવી શકાય છે.
  • પાણી પર પ્લાન્ટ મૂકવા માટે વિશેષ પ્લેટફોર્મ, મજબૂત એન્કરિંગ અને વોટરપ્રૂફ વાયરિંગ જોઈતું હોવાથી સામાન્ય પ્લાન્ટ કરતાં આમાં 25% વધુ ખર્ચ થાય છે.
  • મધ્યપ્રદેશ માં નર્મદા નદી પર આવેલો ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પાર્ક ભારતનો સૌથી મોટો ચાલુ પ્રોજેક્ટ છે, જેની ક્ષમતા 278 MW છે અને તેને 600 MW સુધી લઈ જવાશે.
  • દુનિયાભરમાં 2024 સુધીમાં કુલ 9.6 GW ના ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સ્થપાયા છે, જેમાં 90% જેટલો હિસ્સો એશિયા ના દેશોનો છે.

ભારતમાં સૌર ઉર્જાની વર્તમાન સ્થિતિ

  • ભારતમાં સોલર ક્ષમતા 2014 માં માત્ર 3 GW હતી, જે 2025 માં વધીને 129 GW થઈ ગઈ છે. ભારતનો લક્ષ્યાંક 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા મેળવવાનો છે.
  • સારા સૂર્યપ્રકાશ અને યોગ્ય સરકારી નીતિઓના કારણે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સોલર ઉર્જા ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે.
  • ઉત્પાદિત થયેલી વીજળીને સહેલાઈથી મુખ્ય ગ્રીડ સુધી પહોંચાડવા માટે ગ્રીન એનર્જી કોરિડોર જેવી લાઈનો નાખવામાં આવી રહી છે.
  • PM સૂર્ય ઘર યોજના હેઠળ ડિસેમ્બર 2025 સુધીમાં 24 લાખ ઘરોની છત પર સોલર પેનલ મુકાઈ ગઈ છે, જ્યારે PM-KUSUM યોજનાથી ખેડૂતોને સોલર પંપ આપવામાં આવે છે.
  • સરકારે 30 GWh ક્ષમતાના બેટરી સ્ટોરેજ (BESS) તૈયાર કરવા માટે રૂ. 5,400 કરોડ ની વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) યોજના મંજૂર કરી છે.
  • ALMM યાદી હેઠળ ભારતમાં સોલર મોડ્યુલ બનાવવાની ક્ષમતા 100 GW એ પહોંચી ગઈ છે, જે દેશને સ્વનિર્ભર બનાવે છે.
  • ગુરુગ્રામ માં મુખ્ય મથક ધરાવતું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) એ ભારતની એક મોટી વૈશ્વિક પહેલ છે, જે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના દેશોમાં સોલર ઉર્જાનો પ્રચાર કરે છે.