
અંગદાન માટેનું ઈ-પ્રત્યારોપણ ડિજિટલ પ્લેટફોર્મ
#જીએસ-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #ઈ-ગવર્નન્સ #આરોગ્ય #જીએસ-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #આઈસીટી #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #પ્રિલિમ્સ
શા માટે ચર્ચામાં છે?
- નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારતીય અંગદાન દિવસ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા ઈ-પ્રત્યારોપણ ડિજિટલ પ્લેટફોર્મ ખુલ્લું મૂકવામાં આવ્યું.
ઈ-પ્રત્યારોપણ ડિજિટલ પ્લેટફોર્મ વિશે
- ઈ-પ્રત્યારોપણ એ સમગ્ર દેશ માટેનું એક ડિજિટલ પોર્ટલ છે. તે હોસ્પિટલો, ડોક્ટરો, અંગદાતાઓ, દર્દીઓ અને સરકારી ખાતાઓને એક જ જગ્યાએ જોડે છે.
- ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનું મુખ્ય નોડલ મંત્રાલય છે.
- નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO) આ પ્લેટફોર્મની મુખ્ય અમલીકરણ એજન્સી તરીકે કામ કરે છે.
- આ પ્લેટફોર્મનો હેતુ અંગદાનની પ્રક્રિયા પારદર્શક બનાવવાનો છે, જેથી ગેરરીતિઓ અટકે અને જરૂરિયાતમંદ દર્દીને સમયસર અંગ મળી રહે.
મુખ્ય સુવિધાઓ
- આ પોર્ટલ પર અંગ મેળવવા માંગતા દર્દીઓ, અંગદાન સંકલ્પ કરનારા લોકો અને ટિશ્યુ બેંકની તમામ માહિતી લાઈવ જોઈ શકાય છે.
- ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એન્ડ ટિશ્યુઝ એક્ટ (THOTA) ના નિયમો મુજબ કોમ્પ્યુટર પ્રોગ્રામ આપોઆપ દર્દીની ગંભીરતા અને અંતર જોઈને અંગ ફાળવશે.
- નોંધાયેલી હોસ્પિટલો, ROTTOs અને SOTTOs એ સર્જરી પછીના 48 કલાક માં અંગ મેળવવાની અને ટ્રાન્સપ્લાન્ટની વિગતો ઓનલાઈન મૂકવી ફરજિયાત છે.
- આ સિસ્ટમમાં ઓનલાઈન આઈડી ચકાસણી કરીને અંગદાનનો સંકલ્પ કરનારને તુરંત જ ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
- NOTTO મોબાઈલ એપ ની મદદથી ગ્રીન કોરિડોર પર લઈ જવાતા અંગોના વાહનનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકાય છે.
મહત્વ
- બધી માહિતી એક જ સુરક્ષિત જગ્યાએ રહેતી હોવાથી અંગોના ગેરકાયદેસર વેપાર અને કાળાબજાર પર રોક લાગશે.
- કોમ્પ્યુટર દ્વારા ઝડપી મેચિંગ થવાથી સમય બચશે, જેથી હૃદય જેવા સંવેદનશીલ અંગો દર્દી સુધી સમયસર પહોંચાડી શકાશે.