ભારતના પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં વૃદ્ધિના દ્વાર ખોલવા

ભારતના પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં વૃદ્ધિના દ્વાર ખોલવા

#GS-3 #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ #રોજગારી #વૃદ્ધિ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • નીતિ આયોગ અને પ્રવાસન મંત્રાલયે ભેગા મળીને 'અનલોકિંગ ગ્રોથ ઇન ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટર' નામનો અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં નિયમોની ઝંઝટ દૂર કરવા માટેની યોજના આપી છે. તેનો મુખ્ય હેતુ ભારતના પ્રવાસન ક્ષેત્રમાં માત્ર પ્રવાસીઓની સંખ્યા વધારવાને બદલે રોકાણ આધારિત મોડેલ બનાવવાનો છે.

સારાંશ

  • આ અહેવાલમાં જણાવાયું છે કે કડક નિયમો અને વિઝાની અઘરી નીતિ પ્રવાસનનો વિકાસ રોકે છે. ભારત પાસે સંસ્કૃતિ અને કુદરતી સંપત્તિ છે, પણ ખરાબ સુવિધાઓ અને સરકારી પરવાનગીમાં થતો વિલંબ પ્રવાસનની ક્ષમતાને દબાવી દે છે.
  • રિપોર્ટમાં વિઝા સરળ બનાવવા, લાયસન્સ નિયમો હળવા કરવા અને સિંગલ-વિન્ડો મંજૂરી આપવાની ભલામણ કરાઈ છે. બાંધકામના નિયમો હળવા કરવા અને પર્યાવરણ મંજૂરી ઝડપી બનાવવાથી નવું રોકાણ આવશે અને ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બનશે.

ભારતમાં પ્રવાસન ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે?

  • વર્ષ 2024 માં વૈશ્વિક જીડીપીમાં પ્રવાસન ક્ષેત્રનો ફાળો લગભગ 10% રહ્યો હતો. આ ક્ષેત્રે દુનિયાભરમાં દર 10 માંથી 1 વ્યક્તિને રોજગારી પૂરી પાડી છે.
  • એક અંદાજ મુજબ 2035 સુધીમાં વિશ્વનું પ્રવાસન ક્ષેત્ર 16.5 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચી જશે અને તે વાર્ષિક 3.5% ના દરે વધશે. આ ક્ષેત્ર વિકાસશીલ દેશો માટે રોજગારી આપવાનું અને વિદેશી હૂંડિયામણ કમાવવાનું મોટું સાધન છે.
  • નાણાકીય વર્ષ 2023-24 માં ભારતના જીડીપીમાં પ્રવાસન ક્ષેત્રનો હિસ્સો રૂ. 15.73 લાખ કરોડ હતો. આ દેશની કુલ અર્થવ્યવસ્થાના 5.22% જેટલો થાય છે.
  • પ્રવાસન ક્ષેત્ર મોટા પ્રમાણમાં રોજગારી આપે છે અને હાલમાં લગભગ 8.46 કરોડ લોકોને રોજીરોટી આપે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં રોજગારીમાં 20% નો વધારો નોંધાયો છે.
  • દેશી પ્રવાસીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને વર્ષ 2024 માં 2.9 અબજ મુલાકાતો નોંધાઈ હતી. પરંતુ વિદેશી પ્રવાસીઓની સંખ્યા હજુ પણ ધારણા કરતા ઘણી ઓછી છે.
  • વર્ષ 2024 માં માત્ર 99.5 લાખ વિદેશી પ્રવાસીઓ જ ભારતમાં આવ્યા હતા. આ કારણે સમગ્ર વિશ્વના વિદેશી પ્રવાસીઓમાં ભારતનો હિસ્સો 1.5% થી પણ ઓછો છે.
  • વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2024 માં ભારત કુદરતી સંપત્તિમાં 6 ઠ્ઠા અને સાંસ્કૃતિક સંપત્તિમાં 9 મા ક્રમે છે. જોકે નબળા વેપારી વાતાવરણ અને કડક નીતિઓના કારણે એકંદરે ભારત 39 મા ક્રમે આવે છે.

ભારતની પ્રવાસન પ્રોત્સાહન પહેલો

  • સરકારે દેશમાં અલગ-અલગ થીમ આધારિત સર્કિટ વિકસાવવા માટે સ્વદેશ દર્શન યોજના અને સ્વદેશ દર્શન 2.0 શરૂ કરી છે.
  • પ્રસાદ (PRASHAD) યોજના હેઠળ ભારતના મુખ્ય ધાર્મિક અને યાત્રાધામો પર પાયાની સુવિધાઓનો વિકાસ કરવામાં આવે છે.
  • દેખો અપના દેશ પહેલ દેશના નાગરિકોને ભારતના પોતાના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
  • ઇનક્રેડિબલ ઇન્ડિયા અને ઇનક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન વિદેશી પ્રવાસીઓ સમક્ષ ભારતની સંસ્કૃતિ અને સુંદરતા રજૂ કરે છે.
  • એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ રાજ્યો વચ્ચે પ્રવાસન અને સાંસ્કૃતિક આપ-લે વધારવાનું કામ કરે છે.
  • પ્રવાસનનું આર્થિક મહત્વ સમજાવવા અને લોકોને જોડવા માટે સરકાર પર્યટન પર્વ નું આયોજન કરે છે.
  • નેશનલ ડિજિટલ ટુરીઝમ મિશન (NDTM) પ્રવાસન ક્ષેત્રની સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવાનું કામ કરે છે.
  • નિધિ (NIDHI) પોર્ટલ દ્વારા દેશના તમામ હોટેલ અને પ્રવાસન ક્ષેત્રના એકમોનો એક સત્તાવાર ડેટાબેઝ તૈયાર કરાયો છે.
  • ઉત્સવ પોર્ટલ દેશના તહેવારો અને ધાર્મિક ઉત્સવોની માહિતી પ્રવાસીઓ સુધી પહોંચાડે છે.
  • કોરોના રોગચાળા દરમિયાન નુકસાન પામેલા પ્રવાસન ઉદ્યોગને નાણાકીય ટેકો આપવા માટે LGSCATSS યોજના લાવવામાં આવી હતી.

માંગ-પક્ષના પડકારો (આંતરરાષ્ટ્રીય સુગમતા)

  • યુએન ટુરીઝમ વિઝા ઓપનનેસ ઈન્ડેક્સ માં ભારતનો સ્કોર 38.14 છે. આ સ્કોર વૈશ્વિક સરેરાશ 40 અને એશિયા-પેસિફિક સરેરાશ 46 કરતાં ઘણો ઓછો છે.
  • ભારતમાં માત્ર નેપાળ, ભૂતાન અને માલદીવ ના લોકોને જ વિઝા વગર પ્રવેશ મળે છે. આ સિવાય ઓન-અરાઇવલ વિઝાની સુવિધા માત્ર જાપાન, દક્ષિણ કોરિયા અને યુએઈ ના નાગરિકો માટે જ ઉપલબ્ધ છે.
  • વિદેશી પ્રવાસીઓને અઘરા ફોર્મ, વેબસાઈટમાં ટેકનિકલ ખામી અને વિદેશી કાર્ડથી પેમેન્ટ ન થવા જેવી સમસ્યાઓ નડે છે. આ બધી ઝંઝટના કારણે ઘણા પ્રવાસીઓ ભારતમાં આવવાનું ટાળે છે.
  • ભારતમાં પ્રવાસીઓને ફરી બોલાવવા માટે કોઈ ખાસ ડિસ્કાઉન્ટ કે સ્કીમ નથી. યોગ્ય માર્કેટિંગના અભાવે વધારે ખર્ચ કરતા વિદેશી પ્રવાસીઓ વારંવાર આવતા નથી.
  • ભારતને પ્રવાસનમાંથી લગભગ 35 અબજ ડોલર ની વિદેશી આવક થાય છે. જોકે સુંદર સ્થળો હોવા છતાં ભારત તુર્કી, થાઈલેન્ડ અને સાઉદી અરેબિયા કરતાં પાછળ રહી જાય છે.
  • ભારતીય પ્રવાસીઓ દ્વારા વિદેશમાં કરાતો ખર્ચ કોરોના પહેલા કરતા 15% વધી ગયો છે. આ બતાવે છે કે દેશના લોકો સ્થાનિક સ્થળોને બદલે વિદેશ જવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

પુરવઠા-પક્ષના પડકારો (રોકાણ અને માળખાકીય સુવિધા)

  • ભારતમાં જાણીતી બ્રાન્ડની હોટેલોમાં માત્ર 2 લાખ રૂમ જ છે, જે દેશની કુલ 24.8 લાખ રૂમની ક્ષમતાના 8% કરતાં પણ ઓછી છે.
  • ભારતમાં નવી હોટેલ મંજૂર કરાવીને ચાલુ કરવામાં 36 થી 48 મહિના થાય છે. જેની સામે એશિયાઈ (ASEAN) દેશોમાં આ કામ 12 થી 18 મહિનામાં પૂરૂં થઈ જાય છે.
  • પ્રોજેક્ટ મોડો થવાથી વ્યાજનું ભારણ વધે છે, કારણ કે હોટેલ ક્ષેત્રે 11% થી 14% ના ઊંચા વ્યાજે લોન મળે છે. આ કારણે નવી હોટેલો ઝડપથી બની શકતી નથી.
  • નવી હોટેલ શરૂ કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક તંત્ર પાસેથી 50 થી 60 પરવાનગીઓ અને લાયસન્સ લેવા પડે છે.
  • એક જ હોટેલમાં મનોરંજન કે સ્પા માટે અલગ-અલગ હેલ્થ લાયસન્સ લેવા પડે છે. આ સિવાય ખાણી-પીણી પીરસવા માટે પણ પોલીસ પાસેથી ઇટિંગ હાઉસ લાયસન્સ લેવું પડે છે.
  • મકાન બાંધકામના જૂના નિયમોના કારણે હોટેલ બનાવવાનો ખર્ચ વધે છે અને તેનો વિકાસ અટકી જાય છે.
  • ફ્લોર એરિયા રેશિયો (FAR) ઓછો હોવાથી અને જમીન કવરેજના કડક નિયમોના કારણે બિલ્ડરોએ જગ્યા મેળવવા માટે મોંઘી ઊંચી ઇમારતો બનાવવી પડે છે.
  • કેરળ જેવા રાજ્યોમાં 15 મીટર થી વધુ ઊંચી ઇમારતો માટે આગ ઓલવવાની મોંઘી સિસ્ટમ મૂકવી પડે છે. આ નિયમથી નાના અને બજેટ હોટેલ બનાવતા લોકો પાછા પડે છે.
  • ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ પરમિટ (AITP) હોવા છતાં, અલગ-અલગ રાજ્યોમાં ટેક્સના જુદા-જુદા નિયમોના કારણે ટ્રાન્સપોર્ટ માલિકો હેરાન થાય છે.
  • ઘણા રાજ્યો બહારના વાહનો પાસેથી અલગ એન્ટ્રી ટેક્સ વસૂલે છે. આનાથી નેશનલ પરમિટ હોવા છતાં પણ કોઈ ફાયદો મળતો નથી.
  • જો કોઈ વાહન બીજા રાજ્યમાં 12 મહિનાથી વધુ રહે, તો તેને રી-રજીસ્ટ્રેશન કરાવવાની લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.
  • હોટેલ અને પ્રવાસન પ્રોજેક્ટ્સને પર્યાવરણીય મંજૂરી (EC) મેળવવામાં વિલંબ થાય છે, કારણ કે સરકારી સમિતિઓ ફેક્ટરીઓ અને ખાણો સાથે જ હોટેલોની ફાઇલો પણ ચકાસે છે.
  • CAG ના અહેવાલમાં જણાવાયું છે કે પર્યાવરણ મંજૂરી આપવાના 89% કિસ્સામાં 105 દિવસની નક્કી કરેલી સમયમર્યાદાનું પાલન થતું નથી.
  • દરિયાકિનારે બનતા પ્રોજેક્ટ્સને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ની પરવાનગી સરળતાથી મળતી નથી, કારણ કે હાઈ ટાઈડ લાઈન (HTL) નો નકશો ડિજિટલ અને સ્પષ્ટ નથી.

આગળનો માર્ગ (ભારતના પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરવા જરૂરી ઉપાયો)

  • સરકારે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS) દ્વારા સ્વાસ્થ્ય, ફાયર અને મ્યુનિસિપલની બધી પરવાનગીઓ એક જ જગ્યાએથી આપવી જોઈએ.
  • એક હોટેલમાં અલગ-અલગ રેસ્ટોરન્ટ માટે માત્ર એક જ હેલ્થ અને લિકર લાયસન્સ હોવું જોઈએ. આ સિવાય પોલીસનું ઇટિંગ હાઉસ લાયસન્સ લેવાની શરત દૂર કરવી જોઈએ.
  • હોમસ્ટે ચલાવતા સ્થાનિક લોકોને મદદ કરવા માટે રૂમની મર્યાદા 6 થી વધારીને 9 રૂમ કરવી જોઈએ.
  • હોમસ્ટેના રજીસ્ટ્રેશન માટે સ્થાનિક પંચાયત કે નગરપાલિકાની NOC લેવાની ફરજિયાત પ્રક્રિયા નાબૂદ કરવી જોઈએ.
  • બાંધકામ ક્ષેત્રે FAR ની મર્યાદા 1 થી 4 સુધી વધારવી જોઈએ અને ઊંચી ઈમારત ગણવા માટેની મર્યાદા વધારીને 23 મીટર કરવી જોઈએ.
  • મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 47 માં સુધારો કરીને વાહન (VAHAN) પોર્ટલ દ્વારા ઓનલાઈન સરનામું બદલવાની છૂટ આપવી જોઈએ.
  • વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે 90 દિવસની મલ્ટીપલ-એન્ટ્રી વિઝા-ઓન-અરાઇવલ સુવિધા શરૂ કરવી જોઈએ.
  • ઈ-વિઝા પોર્ટલ પર ફોર્મ સરળ બનાવવા જોઈએ, વિદેશી કાર્ડથી ચૂકવણી સરળ બનાવવી જોઈએ અને જૂના પ્રવાસીઓ માટે ડેટા સુરક્ષિત રાખવો જોઈએ.
  • AITP પરમિટની મુદત 90 દિવસથી વધારીને 5 વર્ષ કરવી જોઈએ અને રાજ્યો દ્વારા લેવાતા વધારાના એન્ટ્રી ટેક્સ નાબૂદ કરવા જોઈએ.
  • CRZ નોટિફિકેશન 2019 હેઠળ દરિયાકિનારાના તમામ નકશાઓનું ડિજિટલાઇઝેશન કરવું જોઈએ જેથી પરવાનગી ઝડપથી આપી શકાય.
  • વન (સંરક્ષણ અને સંવર્ધન) અધિનિયમ, 1980 હેઠળ જંગલની જમીન અંગેની મંજૂરી આપવા માટે નકશાઓને મહેસૂલી રેકોર્ડ સાથે જોડવા જોઈએ.
  • પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે (MoEFCC) પ્રવાસન પ્રોજેક્ટ્સ માટે અલગ સમિતિઓ બનાવીને પર્યાવરણીય મંજૂરી (EC) ની કામગીરી ઝડપી કરવી જોઈએ.

નિષ્કર્ષ

  • આ રિપોર્ટનો મુખ્ય ધ્યેય ભારતમાં રોકાણ વધારીને પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવાનો છે. વર્ષ 2047 સુધીમાં 3 ટ્રિલિયન ડોલર નું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સરકારી મંજૂરીઓ અને વિઝા નિયમો સરળ બનાવવા પડશે. આનાથી વિકસિત ભારત @2047 નો સંકલ્પ પૂર્ણ થશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

  • અહેવાલનો મુખ્ય હેતુ શું છે? આ અહેવાલનો હેતુ નિયમો સરળ બનાવીને, નવું રોકાણ લાવીને અને વિઝા પદ્ધતિ સુધારીને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવાનો છે.
  • ભારતનું પ્રવાસન ક્ષેત્ર ક્ષમતા હોવા છતાં કેમ પાછળ છે? કડક વિઝા નીતિ, મંજૂરીઓમાં વિલંબ અને અપૂરતી પાયાની સુવિધાઓના કારણે પ્રવાસન ક્ષેત્રનો યોગ્ય વિકાસ થયો નથી.
  • પ્રવાસન ક્ષેત્ર સમક્ષ કયા મુખ્ય પડકારો છે? લાયસન્સની ઝંઝટ, પ્રોજેક્ટમાં વિલંબ, બાંધકામના કડક નિયમો, વાહનવેરો અને પર્યાવરણ મંજૂરીમાં વિલંબ મુખ્ય પડકારો છે.
  • પ્રવાસન ક્ષેત્રને સુધારવા કયા ઉપાયો સૂચવવામાં આવ્યા છે? રિપોર્ટમાં સિંગલ વિન્ડો સિસ્ટમ, લાયસન્સ ઘટાડવા, બાંધકામમાં છૂટછાટ અને પર્યાવરણ મંજૂરીઓ ઝડપી બનાવવાની સલાહ અપાઈ છે.