
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના: ભારતીય ખેતીના પરિવર્તનના 10 વર્ષ
#GS-2 #GS-3 #અર્થતંત્ર #કૃષિ #માળખાકીય સુવિધા #પર્યાવરણ #ટકાઉ વિકાસ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- ભારતમાં ખેતી અને સિંચાઈ ક્ષેત્રે મોટો સુધારો લાવનાર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે મુખ્ય તથ્યો
- કેન્દ્ર સરકારે 2015માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરી હતી. ખેતરો સુધી પાણી પહોંચાડવું, પિયત વિસ્તાર વધારવો અને પાણીનો બગાડ અટકાવવો એ તેનો મુખ્ય હેતુ છે.
- આ યોજના કેન્દ્ર દ્વારા ચલાવાતી કોર સ્કીમ તરીકે વર્ગીકૃત થયેલી કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
- આ યોજનામાં મોટાભાગના રાજ્યો માટે 60:40, પૂર્વોત્તર અને હિમાલયના રાજ્યો માટે 90:10 અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100% કેન્દ્રીય ગ્રાન્ટ આપવામાં આવે છે.
- સરકારે જૂની ત્રણ મોટી યોજનાઓ એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ, ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને ઓન-ફાર્મ વોટર મેનેજમેન્ટને ભેગી કરીને આ નવી યોજના બનાવી હતી.
- આ યોજના મુખ્યત્વે જળ સંચય એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સિંચન એટલે કે ખેતરમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાના ખ્યાલ પર કામ કરે છે.
- જમીન સ્તરે યોજનાનો યોગ્ય અમલ થાય તે માટે રાજ્ય સિંચાઈ યોજના અને જીલ્લા સિંચાઈ યોજના બનાવીને કામગીરી કરવામાં આવે છે.
- કેન્દ્ર સરકારે વર્ષ 2021-26 સુધી આ યોજના ચાલુ રાખવા માટે ₹93,068.56 કરોડનું બજેટ મંજૂર કરેલું છે.
- તાજેતરના કેન્દ્રીય બજેટ 2026-27માં આ યોજના માટે ₹6,587 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ
- આ વિભાગ હેઠળ અધૂરા પડેલા મોટા અને મધ્યમ કદના ડેમ તથા કેનાલના કામો ઝડપથી પૂરા કરીને ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે.
- વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં આ વિભાગને ₹21,023 કરોડની સહાય મળી છે, જેનાથી 17.30 મિલિયન ખેડૂતોને સીધો ફાયદો થયો છે.
- સરકારે 2025-26માં આ વિભાગ હેઠળ કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટનું આધુનિકીકરણ નામની સબ-સ્કીમ ₹1,600 કરોડના બજેટ સાથે શરૂ કરી છે.
- આ નવી પેટા યોજના દ્વારા કેનાલના પાણીને પાઇપલાઇન અને ટપક પદ્ધતિથી છેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડી પાણીનો વ્યય અટકાવાય છે.
હર ખેત કો પાની
- આ ઘટકનો મુખ્ય ઉદ્દેશ્ય ભુગર્ભ જળ અને સપાટી પરના નાની સિંચાઈ યોજનાઓ દ્વારા પાણીના નવા સ્ત્રોત ઉભા કરવાનો છે.
- અત્યાર સુધીમાં 3,462 નાની સિંચાઈ યોજનાઓ પૂરી કરીને 5.93 લાખ હેક્ટર વિસ્તારમાં અને ભૂગર્ભ જળ યોજનાઓથી 88.55 હજાર હેક્ટર જમીનમાં સિંચાઈ સુવિધા ઊભી કરાઈ છે.
વોટરશેડ ડેવલપમેન્ટ
- આ વિભાગ બિન-પિયત અને બંજર જમીનમાં માટી અને ભેજનું રક્ષણ કરીને જમીનની ફળદ્રુપતા વધારવાનું કામ કરે છે.
- વર્ષ 2016-17થી આ યોજના માટે ₹12,432.09 કરોડ વાપરવામાં આવ્યા છે, જેનાથી 1.34 મિલિયન ખેડૂતોને સીધો લાભ થયો છે.
પર ડ્રોપ મોર ક્રોપ
- વર્ષ 2015-16 થી 2021-22 સુધી આ PMKSY નો ભાગ હતો, જેને 2022-23થી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ લાવી ટપક અને ફુવારા પદ્ધતિને પ્રોત્સાહન અપાય છે.
- ટપક પદ્ધતિ છોડના મૂળમાં સીધું પાણી આપે છે અને ફુવારા પદ્ધતિ વરસાદની જેમ પાણી છાંટે છે, જેનાથી પાણીની બચત થાય છે અને પાકનું ઉત્પાદન વધે છે.
- ખેડૂતોને મદદ કરવા નાબાર્ડ હેઠળ માઇક્રો ઇરિગેશન ફંડ બનાવાયું છે, જેમાં નાના ખેડૂતોને 55% અને અન્ય ખેડૂતોને 45% નાણાકીય સહાય મળે છે.
- આ યોજનાથી અત્યાર સુધીમાં 110.92 લાખ હેક્ટર જમીન સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવી છે, જે ભારતના વાવેતર વિસ્તારના 7.98% જેટલી છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015ના રોજ શરૂ કરાઈ હતી જેથી ખેતર સુધી પાણી પહોંચાડી શકાય.
- આ યોજનાનો મુખ્ય હેતુ સિંચાઈનો વ્યાપ વધારવાનો અને ખેતરમાં પાણીનો ઉપયોગ સુધારવાનો છે.
- આ યોજનાના ચાર મુખ્ય અંગો એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ, હર ખેત કો પાની, વોટરશેડ ડેવલપમેન્ટ અને પર ડ્રોપ મોર ક્રોપ છે.
- પર ડ્રોપ મોર ક્રોપ ઘટક ખેડૂતોને ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં મદદ કરે છે.
- હર ખેત કો પાની ઘટક નાના જળસ્ત્રોતો બનાવીને પાણી વિનાની જમીન સુધી સિંચાઈ પહોંચાડે છે.